ટેકનોલોજીના યુગમાં પણ ગુરુનું સ્થાન સર્વોચ્ચ અને શાશ્વત છે : જગદીશભાઈ વિશ્વકર્મા

By: Nation Gujarat Team
29 Jul, 2026

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનની શરૂઆત ઉપસ્થિત સૌ સંતશ્રીઓ તથા ગુરૂજનોના ચરણોમાં વંદન કરીને કરી હતી અને જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મહાપર્વ છે. સમય સતત બદલાઈ રહ્યો છે, ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક સુવિધાઓ માનવજીવનનો ભાગ બની છે, છતાં ગુરુપૂર્ણિમા જેવા આધ્યાત્મિક અને સાત્વિક ઉત્સવો આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે, તે આપણા સંસ્કાર અને સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે.

તેમણે જણાવ્યું કે, ભારતીય ગુરુ-શિષ્ય પરંપરા માત્ર જ્ઞાનના આદાન-પ્રદાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને ચારિત્ર્યનું સિંચન કરતી દિવ્ય પરંપરા છે. જેમ માતા-પિતા સંતાનોમાં સારા સંસ્કારોનું વાવેતર કરે છે, તેવી જ રીતે ગુરુ જીવનને યોગ્ય દિશા આપતા સાચા માર્ગદર્શક બને છે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનારને જ સાચા અર્થમાં ‘ગુરુ’ કહેવાય છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ એવું મહાન વ્યક્તિત્વ હોય છે, જેના માર્ગદર્શન અને આશીર્વાદથી જીવનને નવી દિશા મળે છે. ગુરુ આપણા જીવનના શિલ્પકાર છે. તેઓ આપણા દોષો અને અવગુણોને દૂર કરીને સદ્માર્ગે આગળ વધવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. તેથી ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ અને અવિસ્મરણીય છે.

તેમણે જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં પણ આ પ્રકારના ભવ્ય અને સાત્વિક ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન થવું એ સમગ્ર સમાજ માટે આનંદ અને ગૌરવની બાબત છે. લકુલીશ યુનિવર્સિટી દ્વારા યોગના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવતા પ્રયાસો પણ પ્રશંસનીય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. યોગ ક્ષેત્રે આપવામાં આવતા સન્માનમાં સંસ્થાના પૂજ્ય ગુરુજીને પ્રાપ્ત થયેલ એવોર્ડ સમગ્ર સંસ્થા અને સમાજ માટે ગર્વની ક્ષણ છે. પ્રદેશ અધ્યક્ષશ્રી વિશ્વકર્માએ સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા માત્ર એક દિવસનો ઉત્સવ નથી. જીવનમાં જેમણે પણ આપણને સાચો માર્ગ બતાવ્યો હોય, એવા દરેક ગુરુજન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેમના આશીર્વાદ સાથે જીવનપથ પર આગળ વધવાનો અવસર છે. આ કાર્યક્રમ દરમિયાન’રાધા પુરુષોત્તમ સ્વરૂપ’ની કૃતિનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયરશ્રી હિતેષભાઈ બારોટ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી આઈ. કે. જાડેજા, લાઇફ મિશન યુથ ટીમના હોદ્દેદારશ્રીઓ, સંત-મહાત્માઓ, ગુરૂજનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Related Posts

Load more